તલગાજરડામાં શોકનો માહોલ, મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેનનું અવસાન: સવારે 9 વાગ્યે અપાઈ અંતિમ વિદાય
11-Jun-2025
ગુજરાતના વિખ્યાત અને આદરણીય કથાકાર પૂજ્ય મોરારી બાપુના ધર્મપત્ની નર્મદાબેન મોરારીદાસ હરિયાણીનું અવસાન થયું છે. તેમણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે આવેલા પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા.
મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યે શાંતિપૂર્વક દેહ ત્યાગ કર્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, નર્મદાબેને ગઈકાલે મોડી રાત્રે લગભગ 1:30 વાગ્યે શાંતિપૂર્વક દેહ ત્યાગ કર્યો હતો. તેમની ઉંમર 75 વર્ષની હતી. નર્મદાબેન છેલ્લા થોડા સમયથી તબિયત બગડવાના કારણે શારીરિક રીતે નબળાઈ અનુભવી રહ્યા હતા અને છેલ્લાં બે દિવસથી તેમણે અન્નગ્રહણ કરવાનું પણ બંધ કર્યું હતું.
નર્મદાબેન અને મોરારી બાપુના લગ્ન વણોટ ગામમાં સંપન્ન થયા હતા. જીવનભર પતિના આધ્યાત્મિક યાત્રા માર્ગમાં તેઓ એક મૌન અને નિમિત્તરૂપ સાથી તરીકે રહ્યા. તેમના અવસાન બાદ તલગાજરડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને ગામમાં સંપૂર્ણ શાંતિ છવાઈ છે. નર્મદાબેનના અવસાનના સમાચાર પ્રસરી જતા તલગાજરડા ગામમાં લોકોએ પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને ગામના તમામ વેપાર ધંધા પણ બંધ જોવા મળ્યા છે.
મોરારી બાપુના નિવાસસ્થાન તલગાજરડામાં આજે સવારે 9 વાગ્યે નર્મદાબેનની અંતિમવિધિ અને સમાધિ વિધિ આધ્યાત્મિક અને શોકમય વાતાવરણમાં યોજાઈ હતી. અનેક ભક્તજનો અને નજીકનાં પરિવારજનો આ અંતિમ વિદાય માટે હાજર રહ્યા હતા.
પૂજ્ય નર્મદાબેનના અવસાનથી મોરારી બાપુ પરિવાર સહિત ભક્તવૃંદમાં ગાઢ શોકની લાગણી છે.
Related Articles
ઓમિક્રોન વાઈરસની સંક્રમણ ક્ષમતા ...
03-Jun-2025
25-Jun-2025